
રાજ્યના તમામ જિલ્લા કલેકટરશ્રીઓ, મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ સહિત વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ સાથે રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ જોશીના અધ્યક્ષસ્થાને ઉનાળા દરમિયાન હીટવેવથી નાગરીકોનું રક્ષણ થાય અને સલામત રહે તે માટે કરવાની થતી તૈયારીઓ તથા વિવિધ તકેદારીઓ વિશે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમજ જિલ્લાઓમાં કરવામાં આવી રહેલી કામગીરી અંગે પણ સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, પંચાયત વિભાગ, એસ.ટી.વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, પશુપાલન વિભાગ, ખેતીવાડી વિભાગ, શહેરી વિકાસ વિભાગ, શ્રમ વિભાગ, પ્રવાસન વિભાગ, સહિતના અધિકારીશ્રીઓને મુખ્ય સચિવશ્રીએ જરૂરી સૂચનાઓ આપી હતી. જેમાં બાંધકામ સાઈટ પર એક થી ચાર કલાક દરમિયાન કામ બંધ રાખવા, જાહેર સ્થળોએ પ્રવાસીઓ માટે પાણીની પૂરતા પ્રમાણમાં સુવિધા, ગ્રામીણ ક્ષેત્રે પાણીનો જરૂરી પુરવઠો, આંગણવાડીઓ ખાતે બાળકોને ઓ.આર.એસ. વિતરણ કરવા, શાળાઓ, હોસ્પિટલ વગેરે સ્થળોએ પૂરતી કાળજી લેવા અંગે સૂચન કરી જિલ્લાના વરિષ્ઠ અધિકારીશ્રીઓને માર્ગદર્શિત કર્યા હતા.
આ બેઠક દરમિયાન જિલ્લા કલેકટર શ્રી ડો. રાજેન્દ્ર પટેલે ઉપસ્થિત અધિકારીઓને વિવિધ સુચનાઓ આપી હતી. જેમાં જિલ્લામાં કાર્યરત કન્સ્ટ્રકશન સાઈટ પરના મજૂરો માટે યોગ્ય સમય નિયત કરવા, શાળાઓ, આંગણવાડી, ફેક્ટરીઓ વગેરે સ્થળોએ લૂ થી બચી શકાય તે અંગેની જરૂરી વ્યવસ્થાઓ કરવા, મનરેગા સાઈટ ઉપર જરૂરી વ્યવસ્થા, આંગણવાડીઓમાં બાળકોનું મેડિકલ ચેકઅપ તથા ઓ.આર.એસ.નું વિતરણ કરવા સહીત જરૂરી બાબતો અન્વયે ઉપસ્થિત સંલગ્ન વિભાગોના અધિકારીશ્રીઓને સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે. એસ. યાજ્ઞિક, મ્યુનિસિપલ કમિશનર શ્રી નવનાથ ગવ્હણે, નિવાસી અધિક કલેકટર શ્રી આર.કે. ઓઝા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી આર.એમ.જાલંધરા, સર્વે નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી અર્જુન ચાવડા, શ્રી એસ. કે. કટારા, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. બી.જી.ગોહિલ સહીત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા
અહેવાલ :- અશરફ વોરા સુરેન્દ્રનગર