
ભાવનગરમાં ગત મોડી રાત્રે બન્યો હત્યા નો બનાવ હત્યાં બાદ હિંસક ઘટના મૃતકના પરિવારે આરોપીઓના ત્રણ મકાન અને રિક્ષામાં આગ લગાવી અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ઉભો કરેલ
ભાવનગર શહેરના રૂવાપરી રોડ પર સ્થિત મહાકાળી વસાહતમાં એક ગંભીર ઘટના સામે આવી છે. બે દિવસ પહેલા થયેલી મારામારીમાં ઘવાયેલા વ્યક્તિનું મોત થતાં પરિસ્થિતિ વણસી છે. ઘટનાની વિગતો મુજબ, નરશીભાઈ પરસોત્તમભાઈ સાગર ચૌહાણના ઘરે ગયા હતા. સાગર અને તેના સાથીઓને શંકા હતી કે નરશીભાઈ તેમની અંગત બાબતોની માહિતી બહાર આપે છે. આ શંકાના આધારે સાગર ચૌહાણ, સુનિલ ચૌહાણ, ભદો ઉર્ફે ભદી, અજય ચૌહાણ અને બે મહિલાઓએ નરશીભાઈ અને તેમના સાળા વિજય પર હુમલો કર્યો હતો.આરોપીઓએ ધારિયા અને લોખંડની પાઇપ વડે હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓ થતાં બંનેને સર ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન નરશીભાઈનું મૃત્યુ થયું હતું. મૃત્યુના સમાચાર મળતાં જ મૃતકના પરિવારજનોએ આરોપીઓના ત્રણ બંધ મકાન અને એક રિક્ષામાં આગ લગાવી દીધી હતી. આરોપીઓ જેલમાં હોવાથી ઘરે કોઈ હાજર ન હતું.સીટી ડીવાયએસપી આર.આર.સિંઘાલે જણાવ્યું કે પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ નિયંત્રણમાં લીધી છે. પોલીસે આ કેસમાં હત્યાની કલમ ઉમેરવાની કાર્યવાહી શરૂ કરી છે. વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિને ધ્યાનમાં રાખી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
અહેવાલ :-અશ્વિન જી. ગોહેલ